સનાતન ધર્મમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી (Kamika Ekadashi) નું વિશેષ મહાત્મ્ય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અજાણતા થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. પૌરાણિક માન્યતા મુજબ, આ એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ (Vajapeya Yajna) જેટલું જ શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થાય છે.
કામિકા એકાદશીનું ધાર્મિક મહત્વ
પદ્મ પુરાણમાં વર્ણવાયેલા પ્રસંગ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માજી અને દેવર્ષિ નારદજી વચ્ચે થયેલા સંવાદનો ઉલ્લેખ કર્યો હતો.
તીર્થ સ્નાન સમાન ફળ: શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કર જેવા પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે.
પિતૃઓની તૃપ્તિ: આ દિવસે રાત્રિના સમયે શ્રીહરિ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ સ્વર્ગલોકમાં તૃપ્ત થાય છે.
યમરાજના ભયથી મુક્તિ: આ દિવસે રાત્રિ જાગરણ કરીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરનાર સાધકને ક્યારેય યમરાજની યાતનાઓ ભોગવવી પડતી નથી.
તુલસી પત્રનું વિશેષ ફળ (Importance of Tulsi Puja)
ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય છે. એકાદશીના દિવસે તુલસી પૂજનનું ફળ નીચે મુજબ છે:
પૌરાણિક વ્રત કથા (Kamika Ekadashi Vrat Katha)
પૌરાણિક કથા અનુસાર, એક ગામમાં એક ક્રોધી અને બળવાન ક્ષત્રિય રહેતો હતો. એક દિવસ કોઈ બાબતે તેનો એક બ્રાહ્મણ સાથે વિવાદ થયો. આવેશમાં આવીને ક્ષત્રિયએ બ્રાહ્મણ પર પ્રહાર કર્યો, જેનાથી બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. પશ્ચાતાપથી પીડાતા ક્ષત્રિયએ જ્યારે બ્રાહ્મણના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ વિધિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે વિદ્વાન પંડિતોએ તેને જણાવ્યું કે તેના પર ‘બ્રહ્મહત્યા દોષ’ લાગ્યો છે. આ દોષના નિવારણ માટે પંડિતોએ તેને સલાહ આપી:
“શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ‘કામિકા એકાદશી’ ના દિવસે વિધિવત ભગવાન વિષ્ણુનું વ્રત કરો, કથા સાંભળો અને બ્રાહ્મણોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપો.”
ક્ષત્રિયએ સંપૂર્ણ વિધિ-વિધાન અને શ્રદ્ધાથી આ વ્રત કર્યું. તેની ભક્તિ અને પશ્ચાતાપથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીહરિ વિષ્ણુએ તેને સ્વપ્નમાં દર્શન આપીને બ્રહ્મહત્યાના મહાપાપમાંથી મુક્ત કર્યો.
પૂજા વિધિ ( Puja Vidhi)
સ્નાન અને સંકલ્પ: સવારે વહેલા ઊઠી સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ લો.
શ્રીહરિ સ્થાપના: પૂજા સ્થાન પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુ અથવા લડ્ડુ ગોપાલની સ્થાપના કરો.
અભિષેક અને શૃંગાર: પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી ચંદન, અક્ષત અને પીળા પુષ્પ અર્પણ કરો.
ભોગ અર્પણ: શુદ્ધ નૈવેધ્ય સાથે તુલસી પત્ર (Tulsi Leaves) અવશ્ય અર્પિત કરો.
આરતી અને પાઠ: ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરી કામિકા એકાદશીની વ્રત કથાનો પાઠ કરો.
દીપદાન: સાંજના સમયે પૂજા ઘર અને તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવો.
પારણા (Parna): બીજા દિવસે દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં બ્રાહ્મણોને દાન આપ્યા પછી જ વ્રતના પારણા કરો.
એકાદશી વ્રત દરમિયાન સાત્વિક અને ફરાળી આહાર લેવાનો નિયમ છે, જેથી શરીર શુદ્ધ રહે અને પૂજા-અર્ચનામાં મન લાગે.
ખાઈ શકાય તેવો ફરાળી ખોરાક
ફરાળી લોટ અને ધાન: મોરૈયો (સાામો), સાબુદાણા, રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ અને કુટ્ટુનો લોટ.
ફળો અને સૂકો મેવો: સફરજન, કેળાં, દાડમ, પપૈયું, મોસંબી તેમજ બદામ, કાજુ, અખરોટ, પિસ્તા અને મગફળી.
દૂધની બનાવટો: શુદ્ધ દૂધ, તાજું દહીં, મોળી છાશ, ઘી, માખણ અને પનીર.
શાકભાજી (કંદમૂળ): બટાકા, શક્કરિયાં, રતાળુ, અળવી, દૂધી અને કાચા કેળાં.
મસાલા અને મીઠું: રસોઈમાં માત્ર સિંઘવ મીઠું (Rock Salt), કાળા મરીનો પાવડર, જીરું, લીલા મરચાં અને કોથમીરનો ઉપયોગ કરી શકાય.
જે વસ્તુઓનું સેવન કરવાની સખત મનાઈ છે
અનાજ અને ચોખા: ઘઉં, ચોખા (ભાત), બાજરી, જુવાર, મેંદો, સોજી અને મકાઈ. એકાદશીના દિવસે ચોખા ખાવા શાસ્ત્રોક્ત રીતે વર્જ્ય માનવામાં આવે છે.
દાળ અને કઠોળ: તુવેર, મગ, ચણા, વાલ, વટાણા, અડદ વગેરે તમામ પ્રકારના કઠોળ અને દાળ.
તામસિક વસ્તુઓ: ડુંગળી, લસણ, રીંગણ, પાંદડાવાળા શાકભાજી (મેથી/પાલક), માંસાહાર, ઈંડા અને આલ્કોહોલ.
સાધારણ મસાલા: રસોઈમાં વપરાતું સાદું આયોડિન યુક્ત મીઠું, હળદર, રાઈ, હિંગ, ગરમ મસાલા, લાલ મરચું પાવડર અને બહારનો પેક્ડ જંક ફૂડ.
