બોલિવૂડ અને રાજકારણ વચ્ચેનો સંબંધ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. અભિનેત્રી ઈશા કોપ્પીકર દ્વારા ‘અંધભક્ત’ શબ્દ અને દેશભક્તિ અંગે આપવામાં આવેલા નિવેદન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો છે. આ સમગ્ર મુદ્દે હવે અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય કંગના રનૌતે ઈશા કોપ્પીકરના વલણનું મજબૂત સમર્થન કર્યું છે. કંગનાએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રહિત સામે કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિ વિશેષ મહત્વના હોઈ શકે નહીં.
ઈશા કોપ્પીકરનો સણસણતો જવાબ: “હું દેશ માટે અંધભક્ત છું, કોઈ પાર્ટી માટે નહીં”
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈશા કોપ્પીકરે પોતાના પોલિટિકલ સ્ટેન્સ અંગે ખુલીને વાત કરી હતી. સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને આકરો જવાબ આપતાં ઈશાએ જણાવ્યું હતું કે, જો પોતાના દેશ પ્રત્યેની અથાહ નિષ્ઠા અને પ્રેમ દર્શાવવા માટે લોકો તેને ‘અંધભક્ત’ કહેતા હોય, તો તેને આ શબ્દથી કોઈ વાંધો નથી અને તે ગર્વથી પોતાને દેશની અંધભક્ત ગણાવશે.
ઈશાએ વધુમાં ઉમેર્યું હતું કે તેની વફાદારી કે સમર્પણ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે નેતા પ્રત્યે સીમિત નથી, પરંતુ માત્ર અને માત્ર ભારત રાષ્ટ્ર પ્રત્યે છે. દેશના હિતમાં બોલવું એ દરેક નાગરિકની ફરજ છે અને તેને રાજકીય ચશ્માથી ન જોવું જોઈએ.
કંગના રનૌતનો સુર: શાળાના દિવસોનો વિરોધ પ્રદર્શનનો કિસ્સો શેર કર્યો
ઈશા કોપ્પીકરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કંગના રનૌતે તેની વિચારસરણીને આવકારી હતી. કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રપ્રેમ અને પક્ષપાતી રાજકારણ વચ્ચે મોટો તફાવત છે.
પોતાના અન્યાય વિરોધી સ્વભાવ વિશે વાત કરતાં કંગનાએ બાળપણની એક ઘટના યાદ કરી હતી. કંગનાના જણાવ્યા અનુસાર, જ્યારે તે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે એક શિક્ષક નાના બાળકોને શારીરિક રીતે માટો માર મારતા હતા. શિક્ષકના આ અમાનવીય વર્તન અને અત્યાચાર સામે નાની વયે જ કંગનાએ અવાજ ઉઠાવ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને શિક્ષક વિરુદ્ધ વિરોધ પ્રદર્શન (Protest) કર્યો હતો. કંગનાએ ઉમેર્યું કે નાનપણથી જ અન્યાય સામે લડવાની આ વૃત્તિને કારણે તે આજે પણ સાચા અને દેશહિતના મુદ્દાઓ પર અચકાયા વિના પોતાનો અવાજ બુલંદ કરે છે.
આ પણ વાંચો :ઈરાનની અર્થવ્યવસ્થા પર મોટો ઝટકો: દુબઈએ તમામ ટ્રાન્ઝેક્શન કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મામલો
રાષ્ટ્રવાદ પર બોલિવૂડના બદલાતા પ્રવાહનું વિશ્લેષણ
રાજકીય વર્તુળો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સામાન્ય રીતે ‘અંધભક્ત’ શબ્દનો ઉપયોગ કોઈ પક્ષના સમર્થકોને ટાર્ગેટ કરવા કે હાસ્યાસ્પદ ચિત્રવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ ઈશા કોપ્પીકર અને કંગના રનૌત જેવા કલાકારો દ્વારા આ શબ્દને ‘રાષ્ટ્રભક્તિ’ સાથે જોડીને રજૂ કરવામાં આવતાં એક નવો વૈચારિક મંચ તૈયાર થયો છે.
આ ઘટના દર્શાવે છે કે વર્તમાન સમયમાં મનોરંજન ક્ષેત્રની હસ્તીઓ પોતાના રાજકીય અને રાષ્ટ્રીય વિચારો રજૂ કરવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવતી નથી. ઈશા અને કંગનાનું આ વલણ અાગામી દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાષ્ટ્રવાદ અને પોલિટિકલ ડિબેટને વધુ તીવ્ર બનાવે તેવી શક્યતા છે.
